અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. તેમજ ગુનેગારો પણ બેફામ બન્યાં છે. ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. બાપુનગર વિસ્તારમાં વિવિધ જગ્યાઓ ઉપર ફરિયાદ બોક્ષ મુકવામાં આવ્યાં છે. જેમાં પ્રજા કોઈના ભય વગર પોતાની ફરિયાદ નાખી શકે છે. જેથી પોલીસ આ ફરિયાદના આધારે કાર્યવાહી કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં અલગ-અલગ 70 સ્થળો ઉપર હાલ ફરિયાદ બોક્ષ મુકવામાં આવ્યાં છે. બાપુનગર વિસ્તારમાં બગીચા, મંદિર , સ્કૂલ – કોલેજ, તેમજ શાકભાજી માર્કેટમાં અને મુખ્ય રોડ પર મૂકવામાં આ ફરિયાદ બોક્સ મુકવામાં આવ્યાં છે. પોલીસનું માનવું છે કે બાપુનગર વિસ્તારમાં રહેતા મહિલા તેમજ સીનીયર સિટીઝનને હેરાન કરતા હોય તો તેની માહિતી મેળવી શકાયશે. તેમજ કોઈ પણ પોલીસ ફરિયાદ હોય તો વિના સંકોચે રજૂઆત ફરિયાદ બોક્સમાં નાખી શકે.
પ્રાયોગિક ધોરણે બાપુનગર પોલીસે આ ફરિયાદ બોક્સ અલગ અલગ જગ્યાઓ પર મુક્યા છે. જેને સાત દિવસ માં એક વાર ખોલી જોવામાં આવશે. તેમજ ફરિયાદ બોક્સમાંથી નીકળતી ફરિયાદોનું નિરાકરણ લાવીને પ્રજા સુરક્ષા પુરી પાડવામાં આવશે. આ તમામ ફરિયાદ બોક્સની જવાબદારી પણ અલગ અલગ પોલીસકર્મીઓને સોપાઈ છે. જેથી અમુક વિસ્તારમાંથી અને દુષણોથી માહિતગાર હોય તેવા સમયે પોલીસ કર્મચારીની યોગ્ય કાર્યવાહી કરી શકે અને પોલીસનો ભય પણ ગુનેગારોમાં જળવાય રહે. તેમજ ક્રાઇમ રેટ ઓછો થઈ શકે.