Site icon Revoi.in

શરદ પવારે EVM પર ઉઠાવ્યો સવાલ, કહ્યું- મેં મારી સગી આંખે જોયું કે વોટ NCPને આપ્યો ને BJPને જતો રહ્યો

Social Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે એકવાર ફરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ને લઇને ચિંતા વ્યક્ત કરી છે. શરદ પવારે એવો દાવો કર્યો છે કે તેમની પાર્ટીમાં નાખવામાં આવેલો વોટ ભાજપને જતો રહ્યો છે.

પવારનું કહેવું છે કે તેમણે પોતે આવું થતા જોયું છે. તેમણે જોકે એ સ્પષ્ટ કર્યું છે કે તેમનો આ દાવો તમામ મશીનોને લઇને નથી. શરદ પવારે કહ્યું, ‘હું ઇવીએમને લઇને ચિંતિત છું. હૈદરાબાદ અને ગુજરાતમાં કેટલાક લોકોએ મારી સામે ઇવીએમ મૂક્યું. તેમણે મને એક બટન દબાવવા માટે કહ્યું. મેં એનસીપી માટે બટન દબાવ્યું અને વોટ કમળના પક્ષમાં જઇ રહ્યો હતો. મેં આવું થતા મારી આંખે જોયું.’

પવારનું કહેવું છે કે ઇવીએમમાં ચેડાં થઈ શકે છે. જોકે પાછલા ઇલેક્શનમાં પવારે જ્યારે ઇવીએમનો ઉપયોગ કર્યો હશે ત્યારે તેમનો વોટ તેમની પાર્ટીને જ ગયો હશે નહીંતો આ સવાલ તેમણે ત્યારે જ ઉઠાવ્યો હોત. ઉલ્લેખનીય છે કે આ પહેલા 21 વિપક્ષીય દળોએ ઇવીએમમાં ગરબડની આશંકાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વિપક્ષ તરફથી આ અરજી તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને રદિયો આપી દીધો હતો.