Site icon Revoi.in

મહિલા સશક્તિકરણ માટે પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય: સરકારી નોકરીમાં 33 % મહિલા અનામતને મંજૂરી

Social Share

ચંદીગઢ:  દેશમાં મહિલા સશક્તિકરણની દિશામાં પંજાબએ પહેલ કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પંજાબ સરકારની કેબિનેટે સરકીર નોકરીમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સિવિલ સર્વિસની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલા અનામતને લીલી ઝંડી મળી છે.

તે ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્ય રોજગાર યોજના 2020-22ને પણ લીલી ઝંડી આપી છે. જે અંતર્ગત વર્ષ 2022 સુધીમાં રાજ્યના 1 લાખ કરતાં પણ વધારે યુવાનોને રોજગારી પ્રદાન કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ત્વરિત ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ, કેબિનેટે સિવિલ સર્વિસ રૂલ્સ 2020ને મંજૂરી આપી છે. જે પ્રમાણે મહિલાઓને સરકારી નોકરીઓ અને સીધી ભરતીમાં તેમજ બોર્ડ્સ અને કોર્પોરેશનના ગ્રૂપ એ,બી, સી અને ડીની જગ્યાઓ પર થનારી ભરતીમાં 33 ટકા અનામત આપવામાં આવશે. મહિલા સશક્તિકરણની દિશામાં પંજાબ સરકારે તેને મહત્વનું પગલું ગણાવ્યું છે.

મહત્વનું છે કે, પંજાબ સિવાય બિહારમાં પણ મહિલાઓને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવી છે. બિહારની નીતિશ સરકારે સરકારી નોકરીઓ તેમજ તમામ સીધી ભરતીમાં મહિલાઓને 35 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.

(સંકેત)