
અનલોક ઇફેક્ટ: જૂનમાં બેરોજગારી દર ઘટીને 10.99 %, મે માસમાં આટલો હતો બેરોજગારી દર
- દેશમાં અનલોક 1.0 લાગૂ થયા બાદ બેરોજગારી દરમાં થયો ઘટાડો
- દેશમાં અનલોક બાદ જૂન માસમાં બેરોજગારી દર ઘટીને 10.99 ટકા નોંધાયો
- મે મહિનામાં લોકડાઉન દરમિયાન બેરોજગારી દર 23.48 ટકા હતો
દેશમાં કોરોના સંક્રમણ જ્યારે શરૂ થયું ત્યારે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને કારણે અનેક રોજગારી ધંધા સ્થગિત થઇ જતા અથવા બંધ થઇ જતા દેશમાં મે મહિનામાં 23.48 ટકાનો બેરોજગારી દર જોવા મળ્યો હતો. જો કે અનલોક 1.0 પછી જૂન પછી ફરીથી રોજગાર ધંધા ધમધમતા દેશના બેરોજગારી પ્રમાણમાં મોટો ઘટાડો આવ્યો છે. જૂન મહિનામાં બેરોજગારી દર ઘટીને 10.99 ટકા નોંધાયો છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ભારતમાં પરિસ્થિતિ હવે લોકડાઉન પહેલાના ભારત જેવી બનવા તરફ આગળ વધી રહી છે. આંકડાઓ અનુસાર શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ 12.02 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 10.52 ટકા રહ્યું. જૂન મહિનામાં સૌથી વધારે 33.6 ટકા બેરોજગારીનું પ્રમાણ હરિયાણામાં જોવા મળ્યું હતું. ત્રિપુરામાં 21.3 ટકા, ઝારખંડમાં 21 ટકા બેરોજગારી પ્રમાણ રહ્યું હતું. જૂનમાં દેશમાં કુલ 37.3 કરોડ લોકો રોજગારમાં હતા, જે પરથી બેરોજગારીનું પ્રમાણ 35.9 ટકા રહ્યું હતું.
CMIEના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ મહેશ વ્યાસના કહેવા મુજબ બેરોજગારી પ્રમાણમાં ઘટાડો આવ્યો છે અને સાથે-સાથે શ્રમબળમાં ભાગીદારી દર પણ લોકડાઉન પહેલા પ્રમાણની નજીક આવી ગયો છે.
નોંધનીય છે કે, 25 માર્ચે દેશભરમાં લોકડાઉન પછી એપ્રિલ મહિનામાં 23.52 ટકા બેરોજગારી પ્રમાણ નોંધાયુ હતું, મે મહિનામાં 23.48 ટકા બેરોજગારી પ્રમાણ રહ્યુ હતું.
(સંકેત)