Site icon Revoi.in

ઓફલાઇન પરીક્ષાના સરકારના નિર્ણય વિરુદ્વ વિદ્યાર્થીઓ કરશે દેખાવો

Social Share

નવી દિલ્હી: કોવિડ-19ની મહામારી વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEE ના પરીક્ષાર્થીઓ તેમજ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના ઘરેથી દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને પહેલા પણ અનેક વિદ્યાર્થીઓએ સરકારને પરીક્ષા રદ કરવા અથવા મુલતવી રાખવા માટે અપીલ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ આ દેખાવો થશે.

પરીક્ષાના આયોજનના નિર્ણય અંગે વાત કરતા પ્રિતા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, અત્યારે ઓફલાઇન પરીક્ષાનું આયોજન એ કોઇ ઉકેલ નથી. દૈનિક ધોરણે સમગ્ર ભારતમાં અને દિલ્હીમાં વધતા કેસને ધ્યાનમાં રાખતા પરીક્ષાનું આયોજન અનેક વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકશે. તે ઉપરાંત સંકટના આ સમયમાં એક સ્થળેથી અન્ય સ્થળે મુસાફરી દરમિયાન પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેવી સંભાવના વધુ છે.

માર્ચ મહિનામાં અભ્યાસઅર્થે તામિલનાડુ ગયેલા વધુ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, જો અત્યારે પરીક્ષા યોજાશે, તો મારે પરીક્ષા દેવા માટે 2000 કિલોમીટરનું અંતર કાપવું પડશે જેનાથી મારું જીવન જોખમમાં મૂકાશે. અમે વિદ્યાર્થીઓ પરીક્ષાના આયોજનના વિરુદ્વમાં નથી પરંતુ સરકાર ડિસેમ્બર સુધી પરીક્ષાને મુલતવી રાખે તેવી માંગણી છે.

વિદ્યાર્થીઓ અંગે ચિંતિત વાલીઓએ કહ્યું હતું કે, પાર્લામેન્ટ પણ બંધ છે, તો પછી અમારા સંતાનોને પરીક્ષા આપવા શા માટે કહેવાય છે?.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે હવે જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન અંગેનો નિર્ણય કર્યો છે ત્યારે કોવિડ-19ના સંકટ દરમિયાન સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાય તેવી શક્યતા વધશે અને તેઓનું જીવન પણ જોખમમાં મૂકાશે તેવી સંભાવના છે. આથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય પાછો ખેંચે તે વધુ હિતાવહ રહેશે.

(સંકેત)