Site icon Revoi.in

વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી ઓછો 2.49 % મૃત્યુદર, રિકવરી રેટમાં પણ સુધારો

Social Share

દેશમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ગતિ પકડી રહ્યું છે અને બીજી તરફ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સરકાર રિકવરી રેટ વધવાનો અને મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછો હોવાનો દાવો કરી રહી છે.

ભારતમાં અસરકારક કન્ટેન્ટમેન્ટ વ્યૂહરચના, ટેસ્ટિંગ અને સારામાં સારી ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલના લીધે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રિકવરી રેટમાં પણ સતત સુધારો થઇ રહ્યો છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ હાલમાં ભારતમાં મૃત્યુદર 2.49 ટકા છે જે દુનિયામાં સૌથી ઓછું પ્રમાણ છે. જ્યારે રિકવરી રેટ વધીને 62.86 ટકા થયો છે.

27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 2 ટકાથી ઓછો છે જેમાં 19 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 1 ટકાથી પણ ઓછુ છે. જ્યારે 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 2 ટકાથી ઓછો છે. એક ટકાથી ઓછા મૃત્યુદરવાળા રાજ્યો પૈકી પાંચ રાજ્યો એવા છે જ્યાં મૃત્યુદર નહિવત છે. આ રાજ્યોમાં મણિપુર, નગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ અને અંડમાન-નિકોબાર દ્રીપ સામેલ છે.

તે ઉપરાંત ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, તામિલનાડુ, પૂડુચેરી, ચંદીગઢ, જમ્મૂ કાશ્મીર અને રાજસ્થાન એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં મૃત્યુદર 2 ટકાથી ઓછો છે.

મહત્વનું છે કે, કોરોના મહામારી સામે ભારત સરકારે 3 ટીની પોલિસી તૈયાર કરી છે જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના તબક્કા છે. આ માટે ટેસ્ટિંગ આંકડો સતત વધીને 1,37,91,869 પર પહોંચ્યો છે.

(સંકેત)