
ભારતમાં નિર્મિત કોરોના વાયરસની રસીઓનું માનવ પરીક્ષણ શરૂ:ICMR
- કોરોનાની બે રસીનું હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું
- આ હ્યુમન ટ્રાયલમાં 1 હજાર સ્વયંસેવકો થયા સામેલ
- ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ વિકસાવી છે રસી
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે આશાસ્પદ એવી કોરોના વાયરસની રસીનું દેશમાં માનવ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદએ મંગળવારે આ માહિતી આપી હતી. ભારતમાં બે રસીઓના હ્મુમન ટ્રાયલ માટે એક હજાર સ્વયંસેવકો સામેલ થયા છે. ભારતીય મેડિસિનના કન્ટ્રોલર જનરલે બે રસીઓના પ્રથમ અને દ્વિતીય ચરણના માનવ પરીક્ષણને મંજૂરી આપી દીધી છે.
ભારતીય મેડિસિનના કન્ટ્રોલર જનરલે બે રસીઓના પરીક્ષણ માટે મંજૂરી આપી હતી તેમાંથી એક રસી ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ એ ICMR સાથે સંયુક્તપણે વિકસાવી છે જ્યારે બીજી રસી ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ દ્વારા તૈયાર કરાઇ છે.
ભારત દુનિયામાં સૌથી વધુ રસીઓ બનાવતા દેશોમાંથી એક છે. તેથી કોરોના સંક્રમણને રોકવા માટે રસી બનાવવાની પ્રક્રિયા ઝડપી કરવી એ દેશની નૈતિક ફરજ છે તેવું ભારતીય તબીબી સંશોધન પરિષદના ડાયરેક્ટર ડૉ.બલરામ ભાર્ગવે કહ્યું હતું.
અગાઉ આ બે રસીઓનું પરીક્ષણ ઉંદરો અને સસલાઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે જે સફળ રહ્યું છે. ICMRએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી.
(સંકેત)