Site icon Revoi.in

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 3 ચરણમાં યોજાશે મતદાન, 10 નવેમ્બરે પરિણામ

Social Share

ચૂંટણી પંચે બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે. બિહાર ચૂંટણી ત્રણ ચરણમાં યોજાશે. જેમાં પહેલા ચરણનું મતદાન 28 ઑક્ટોબર, બીજા ચરણનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. આ વખતે મતદાનનો સમયગાળો 1 કલાક વધારવામાં આવ્યો છે. કોરોના સંક્રમિત લોકો પણ છેલ્લા 1 કલાકમાં મતદાન કરી શકશે. એક બૂથ પર 1000 મતદાતાઓ વોટિંગ કરી શકશે.

ચૂંટણી પંચે આજે બિહારની ચૂંટણીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો પરંતુ ગુજરાતની પેટા ચૂંટણી અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જેને પગલે ગુજરાતમાં હાલ પેટા ચૂંટણી નહીં યોજાય. ગુજરાતની પેટા ચૂંટણી માટે 29 તારીખે બેઠક યોજાશે.

દરેક મતદાન કેન્દ્રો પર મતદાતાઓને માસ્ક લગાવીને અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને આવવાનું સૂચન કરાયું છે. તેમ છતાં સુરક્ષા માટે દરેક મતદાન કેન્દ્રો પર માસ્ક, હેન્ડ ફ્રી સેનેટાઈઝિંગ અને શરીરનું તાપમાન માપવાની પણ વ્યવસ્થા કરાઇ છે. મતદાન શરૂ થતાં પહેલાં બૂથને પણ સંપૂર્ણ રીતે સેનેટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.

બિહારમાં આટલા મતદાતાઓ કરશે મતદાન

બિહારમાં કુલ મતદાતા 7 કરોડ 79 લાખ છે જેમાંથી મહિલા મતદાતાની સંખ્યા 3 કરોડ 39 લાખ છે જ્યારે પુરુષ મતદાતાઓની સંખ્યા 3 કરોડ 79 લાખ છે. મતદાનનો સમય 1 કલાક વધારાશે. એટલે કે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે મતદાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાતાઓને કોરોના સંકટમાં સેફ્ટી સાથે મતદાનનો અધિકાર અપાશે. આ માટે સરકાર 6 લાખ પીપીઇ કિટ અને 46 લાખ માસ્ક અને 6 લાખ ફેસ શીલ્ડનો ઉપયોગ કરશે.

બિહારમાં જે 10 મુદ્દાઓ પર ચૂંટણી થશે તેમાં કોરોના સંકટ, જાતિગત સમીકરણો, પૂર, વિસ્થાપિતોનું દર્દ, બેરોજગારી, સુશાંતનું મોત, કાયદો અને વ્યવસ્થા, વીજ સંકટ, બિસ્માર રસ્તાઓ અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે.

કોરોના સંક્રમણને કારણે ચૂંટણીના નિયમો બદલાયા

કોરોના કાળને કારણે આ વખતે બિહારમાં ચૂંટણીના નિયમો અલગ રહેશે. ઓનલાઇન રેલી યોજાશે. પ્રચાર પણ ઓનલાઇન કરાશે. નામાંકન પણ ઓનલાઇન કરાય તેવી વ્યવસ્થા કરાશે. એક બુથ પર 1000 લોકો હોય તેવી વ્યવસ્થા કરાશે.

(સંકેત)