Site icon Revoi.in

રાજકીય રણનીતિમાં બાહોશ કૉંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદ પટેલની યુવા સાંસદથી લઇને UPAના ભરોસાપાત્ર સલાહકાર સુધીની રાજકીય સફર

Social Share

નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્રએ ટ્વીટ મારફતે આ જાણકારી આપી છે. મહિના પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમની તબિયત સતત લથડી રહી હતી. તેઓએ 25 તારીખના રોજ સવારે ત્રણ વાગ્યે મેદાંતા હૉસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

ભારતની સંસદમાં ગુજરાતનું 8 વાર પ્રતિનિધિત્વ કરી ચૂકેલા 71 વર્ષીય અહેમદ પટેલ કૉંગ્રેસના ચાણક્ય પણ ગણાતા હતા. તેમની રાજકીય સફર પણ રસપ્રદ રહી છે. ચાલો આજે તેમના રાજકીય સફર પર નજર કરીએ.

અહેમદ પટેલ કૉંગ્રેસના ટોચના પરિવારની ત્રણ પેઢીઓ (ઇન્દિરા, રાજીવ અને સોનિયા તથા રાહુલ) સાથે ભરોસાપાત્ર સંબંધ રહ્યા છે. કૉંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓથી લઇને ઔદ્યોગિક વર્તુળોમાં તેમના દોસ્ત અને દુશ્મન મુખ્ય રીતે આજ કારણથી બન્યા હતા. ત્રણ વાર તેઓ લોકસભા અને પાંચ વાર રાજ્યસભામાં ચૂંટાઇને આવ્યા છે. ગુજરાતથી તેઓ હાલ એકમાત્ર મુસ્લિમ સાંસદ હતા.

સૌથી યુવા સાંસદ

વર્ષ 1977માં અહેમદ પટેલ માત્ર 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીની સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્વ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી.

આ કટોકટીના સમયમાં પણ તેમનું જીતવું એ ઇન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સાબિત થઇ હતી. તેઓ વર્ષ 1993થી રાજ્યસભા સભ્યા હતા. અહેમદ પટેલની રૂચી ક્યારે પણ સામે આવીને રાજનીતિ કરવામાં નથી રહી. તેઓ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. તેની પાછળ કૉંગ્રેસની રાજકીય સંસ્કૃતિની સીમાઓ પણ ઘણે અંશે જવાબદાર રહી. રાજકીય રણનીતિમાં બાહોશ એવા પટેલને મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા.

દરેક મામલામાં કૉંગ્રેસની વિચારધારાને કેન્દ્રમાં રાખી

તેઓએ કૉંગ્રેસની વિચારધારાને હર હંમેશ કેન્દ્રમાં રાખીને જ અગત્યની ભૂમિકા નિભાવી હતી, પછી તે ગુજરાતનો ઉના કાંડ હોય કે આંધ્રમાં રોહિત વેમૂલાની આત્મહત્યાનો મામલો હોય કે પછી સાંપ્રદાયિક મામલો હોય.

કૉંગ્રેસને વર્ષ 2004 અને 2009માં જીત અપાવી

વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત પાછળ કૉંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલને અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. બઢતી હોય કે પછી નિયુક્તિઓ, આ દરેક ફાઇલોના અંતિમ નિર્ણય સુધી તેમનો જ સિક્કો ચાલતો હતો.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ-અહેમદ પટેલની અદાવત

ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને અહેમદ પટેલની વચ્ચે જૂની અદાવત રહી. વર્ષ 2010થી જ્યારે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં શાહને જેલમાં જવું પડ્યું ત્યારથી આ અદાવત વધી હતી. માનવામાં આવી રહ્યું છે કે તત્કાલીન UPA સરકારે અહેમદ પટેલના ઇશારા પર શાહને આ મામલામાં ઘેર્યા હતા. UPAના 10 વર્ષના શાસન કાળ દરમિયાન તેઓએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું.

અહેમદ પટેલના નિધન બાદ હવે તેના ઉત્તરાધિકારી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલ તો તેમના ઉત્તરાધિકારી તરીકે તેમના દીકરા ફૈઝલને જોવામાં આવી રહ્યા છે. ફૈઝલે દૂન સ્કૂલ અને હાવર્ડમાંથી અભ્યાસ કરેલો છે. ફૈઝલ પ્રવર્તમાન સમયમાં કારોબાર અને સમાજસેવાના ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત છે. ફૈઝલને એક સારા વક્તા પણ માનવામાં આવે છે.

(સંકેત)