Site icon Revoi.in

સરકારે હવે LPG ગેસ સિલિન્ડર પરની સબસિડી ખતમ કરી, આ છે કારણ

Social Share

રાંધણગેસના ગ્રાહકોને હવે મોટો ઝટકો લાગશે. હકીકતમાં, હવે જુલાઇ-સપ્ટેમ્બર માટે એલપીજી સિલિન્ડર પર સબસિડી નહીં મળે. ગત મે અને જૂન મહિનામાં પણ ગેસ સિલિન્ડર ખરીદનાર ગ્રાહકોના ખાતામાં સરકારે કોઇ સબસિડી જમા નહોતી કરાવી. સરકારના આ વલણથી લાખો ગ્રાહકો પરેશાન હતા. ગ્રાહકોની આ ચિંતાને પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયે દૂર કરી હતી.

સબસિડી ના આપવાની બાબત પર સ્પષ્ટતા કરતા મંત્રાલયે કહ્યું હતું કે, મે 2020થી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાને કારણે તેના ભાવમાં સબસિડીનો કોઇ હિસ્સો નથી. આ જ કારણોસર, મે-જૂન 2020 દરમિયાન આપવામાં આવેલા એલપીજી સિલિન્ડર માટે કોઇ પણ ગ્રાહકના બેંક ખાતામાં સબસિડી ટ્રાન્સફર કરવામાં આવી નહોતી.

હવે જોવામાં આવી રહ્યું છે કે, નોન સબસિડીવાળા 14.2 કીગ્રાવાળા એલપીજી સિલિન્ડરની રિટેલ હજી પણ મે અને જૂન મહિનાના સ્તરે સ્થિર છે. જેનો ભાવ 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. એવામાં આ ભાવમાં સબસિડીનો હિસ્સો નથી, એટલા માટે કહી શકાય કે આ દરમિયાન ખરીદવામાં આવનાર એલપીજી સિલિન્ડર પર સબસિડીની ચૂકવણી સરકાર દ્વારા નહિં કરવામાં આવે.

સબસિડી નાબૂદ કરવાનું પાછળનું એક કારણ કોવિડ-19 રાહત યોજના પાછળનો ખર્ચ પણ માનવામાં આવી રહ્યું છે. સરકાર એલપીજી ગેસ પર સબસિડી નહીં આપીને વર્ષ 2021માં સીધી જ 20,000 કરોડની બચત કરશે. આ બચતને કોવિડ-19 રાહત યોજના માટેના ખર્ચ પર વાપરી શકે છે અને તેનાથી સરકાર પરનું ખર્ચનું દબાણ પણ ઓછું થશે. બીજી તરફ વૈશ્વિક ઓઇલ ભાવ સતત વધતા રહેતા હવે સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધતા સબસિડી સંપૂર્ણપણે દૂર કરી છે.

(સંકેત)