Site icon Revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન

Social Share

– પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું પાર્થિવ શરીર પંચતત્વમાં વિલીન
– રાજકીય સન્માનની સાથે લોધી સ્મશાન ઘાટ પર થયા અંતિમ સંસ્કાર
– આજે સવારે પીએમ મોદી સહિતના નેતાઓએ આપી હતી શ્રદ્વાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયા બાદ આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજકીય સન્માનની સાથે લોધી સ્મશાન ઘાટ પર પ્રણબ દા પંચતત્વમાં વિલીન થઇ ગયા. અગાઉ તેમના પાર્થિવ શરીરને રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી આવાસમાં લાવવામાં આવ્યા હતા.

મંગળવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ ભારત રત્નથી સન્માનિત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના આવાસ પર શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. તે સિવાય બીજા અનેક મંત્રીઓએ પણ પણ તેમને શ્રદ્વાંજલિ આપી હતી.

પીએમ મોદી ઉપરાંત આ મંત્રીઓએ પણ આપી શ્રદ્વાંજલિ
ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડુ, સીડીએસ બિપિન રાવત, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્પીકર ઓમ બિડલા, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, અધીર રંજન ચૌધરી, સીપીઆઈ મહાસચિવ ડી. રાજા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કેટલાક અન્યએ પણ દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી.

ભારત રત્ન અને પદ્મ વિભૂષણથી થયા હતા સન્માનિત
પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા. તેમને વર્ષ 2019માં ભારત રત્ન અને વર્ષ 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રણવ મુખર્જીના નિધન પર કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, 10 ઑગસ્ટના રોજ મગજમાં રક્ત જામી જતા પ્રણવ મુખર્જીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ કોમામાં સરી પડ્યા હતા. તેઓ કોરોના પોઝિટિવ પણ હતા. અંતે તેઓને ફેફસામાં પણ ઇન્ફેક્શન બાદ સોમવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

(સંકેત)