Site icon Revoi.in

ભારતીય વાયુસેનાના પ્રમુખની દોડમાં પાંચ ટોચના વાયુસૈન્ય અધિકારી, ચૂંટણી બાદ નિર્ણય

Social Share

નવી દિલ્હી: ચૂંટણી બાદ કેન્દ્ર સરકાર નવા વાયુસેના પ્રમુખની તલાશ તેજ કરશે. પહેલી મેના રોજ વાયુસેનાના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળી રહેલા એર માર્શલ રાકેશ ભદૌરિયા પણ આ દોડમાં સામેલ છે.

પરંતુ તેમની સેવાનિવૃત્તિની તારીખ પણ એ જ છે કે જે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆની છે. એર માર્શલ ભદૌરિયા સહીત પાંચ વરિષ્ઠ વાયુસૈન્ય અધિકારીઓના નામ પર સરકારમાં ચર્ચા શરૂ થઈ છે.

વાયુસેનાના ઉપપ્રમુખ એર વાઈસ માર્શલ અનિલ ખોસલા 30મી એપ્રિલે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. પહેલી મેએ તેમના સ્થાને એર માર્શલ રાકેશ ભદૌરિયા પદભાર ગ્રહણ કરશે. એર માર્શલ ભદૌરિયા હાલ વાયુસેનાના પ્રશિક્ષણ વિભાગના પ્રમુખ છે.

આગ્રાના મૂળ વતની એર માર્શલ ભદૌરિયા ધનોઆ બાદ વાયુસેનાના સૌથી વરિષ્ઠત્તમ અધિકારી છે. પરંતુ એર ચીફ માર્શલ ધનોઆ અને તેમની સેવાનિવૃત્તિની તારીખ 30મી સપ્ટેમ્બર-2019 છે. જ્યારે અન્ય ચાર વરિષ્ઠ વાયુસૈન્ય અધિકારીઓમાં દક્ષિણ એર કમાન્ડના પ્રમુખ એર માર્શલ બી. સુરેશ, વેસ્ટર્ન કમાન્ડના પ્રમુખ એર માર્શલ આર. નામ્બિયાર, સાઉથ-વેસ્ટ કમાન્ડના પ્રમુખ એર માર્શલ એચ. એસ. અરોરા અને સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ એર માર્શલ રાજેશ કુમાર સામેલ છે.

ભારતીય વાયુસેનાની સાથે સંકળાયેલા સૂત્રોનું માનવું છે કે એર ચીફ માર્શલ ધનોઆ અને એર માર્શલ ભદૌરિયા જેવો મામલો ભૂતકાળમાં પણ આવી ચુક્યો છે. 1991માં જ્યારે 31 જુલાઈએ તત્કાલિન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એસ. કે. મેહરા સેવાનિવૃત્ત થયા હતા, ત્યારે એર માર્શલ એન. સી. સૂરીને વાયુસેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે તેમની પણ સેવાનિવૃત્તિની તારીખ 31 જુલાઈ જ હતી. ચર્ચા છે કે શું એર માર્શલ ભદૌરિયા પણ એર ચીફ માર્શલ સૂરીની જેમ આવો મોકો પ્રાપ્ત કરી શકશે? જો એર માર્શલ  ભદૌરિયા વાયુસેના પ્રમુખ તરીકે નિયુક્ત થશે, તો તેમને આપોઆપ બે વર્ષનો કાર્યકાળ પ્રાપ્ત થઈ જશે.