Site icon Revoi.in

શપથવિધિ પહેલા પ્રધાનમંડળ પર મંથન, પીએમ મોદીને મળ્યા અમિત શાહ

Social Share

નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિભવન પરિસરમાં બીજી વખત વડાપ્રધાન પદે શપથગ્રહણ કરશે. 2014ની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારંભ મેગા ઈવેન્ટ બનવાનો છે. કાર્યક્રમમાં સામેલ થવા માટે છ હજાર અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. વિદેશી અતિથિઓમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાંમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખો સામેલ થવાના છે. તેમના સિવાય સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને શપથવિધિમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

પ. બંગાળમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારજનો આજે પીએમ મોદીની શપથવિધિના કાર્યક્રમમાં સામેલ થશે. તેઓ ટ્રેનોથી ગુરુવારે સવારે દિલ્હી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ સામેલ થવાના નથી.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે બીજી વખતના શપથગ્રહણ સમારંભની તૈયારીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સમારંભમાં 6000 અતિથિઓ સામેલ થશે. સાંજે સાત વાગ્યે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં શપથગ્રહણ કરશે. આ સમારંભ 90 મિનિટ ચાલશે. બિમ્સટેક સદસ્ય દેશોના નેતાઓને વિશેષ આમંત્રિત કરાયા છે. આ સિવાય ફિલ્મ, ખેલ અને કારોબાર જગતની નામી હસ્તીઓને પણ નિમંત્રિત કરવામાં આવી છે.

શપથવિધિ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પ્રધાનમંડળને લઈને મંથનની પ્રક્રિયા સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગઈકાલે પણ બંને વચ્ચે ચાર કલાક અને તેના પહેલા મંગળવારે પણ પાંચ કલાક સુધી પ્રધાનમંડળ મામલે મેરાથોન મંથન ચાલ્યું હતું.

શિવસેનામાંથી અરવિંદ સાવંત પ્રધાન બને તેવી શક્યતા

બરેલીથી ભાજપના સાંસદ સંતોષ ગંગવાર લોકસભાના પ્રોટેમ સ્પીકર બનશે. તેઓ નવા સાંસદોને શપથગ્રહણ કરાવશે. પ્રોટેમ સ્પીકર એવા સાંસદને બનાવવામાં આવે છે કે જેઓ સૌથી વરિષ્ઠ હોય છે. સંતોષ ગંગવાર આઠમી વખત સાંસદ બન્યા છે.

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીતના વિપક્ષના તમામ મોટા નેતાઓ શપથવિધિમાં સામેલ થવાના છે.

જો કે મમતા બેનર્જી પહેલા શપથગ્રહણ સમારંભમાં સામેલ થવાના હતા, પરંતુ બાદમાં તેમણે પત્ર લખીને સામેલ નહીં થવાની વાત જણાવી હતી.

સાંજે સાત વાગ્યે શપથવિધિ સમારંભ માટે અતિથિઓની સંક્યાને જોતા તેનું આયોજન રાષ્ટ્રપતિ ભવનના ફોર કોર્ટમાં કરવામાં આવ્યું છે. મુખ્યદ્વારની જમણી બાજુ શપથગ્રહણ માટેનો મંચ બનાવવામાં આવ્યો છે. મંચની સામે પહેલી કતારમાં અન્ય દેશોના પ્રમુખોને બેસવાની વ્યવસ્થા છે. દેશના વીઆઈપી અતિથિઓ પણ પહેલી કતારમાં બેસશે. પાછળની કતારોમાં ભાજપ અને સાથીપક્ષોના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે પીએમ મોદીના શપથવિધિ સમારંભમાં સામેલ થાય તેવી શક્યતા છે.

રાજધાની નવી દિલ્હીમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. બે હજાર જવાનો મોદી અને વિદેશી અતિથિઓના આવાગમન માર્ગ પર તેનાત છે. દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના દશ હજાર જવાનો દિલ્હીની સુરક્ષામાં તેનાત કરવામાં આવ્યા છે.