Site icon Revoi.in

કરતારપુર કોરિડોર: CM અમરિન્દર સિંહે પાકિસ્તાન પર કર્યો પ્રહાર, 20 ડોલર એન્ટ્રી ફીને ગણાવી જજિયા વેરો

Social Share

નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાકિસ્તાનની ઈમરાનખાન સરકાર પર નિશાન સાધ્યું છે. અમરિન્દર સિંહે કરતારપુર સાહિબ જવા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રી ફીને જજિયા ટેક્સ ગણાવ્યો છે. તેની સાથે જ તેને ખતમ કરવાનું પણ જણાવ્યું છે.

20 ડોલર પ્રતિ તીર્થયાત્રીની એન્ટ્રી ફીને જજિયા ટેક્સ ગણાવતા અમરિન્દરસિંહે કહ્યુ છે કે પાકિસ્તાને તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ અથવા તો તેને ઓછું કરવું જોઈએ.

મહત્વપૂર્ણ છે કે મુસ્લિમ સલ્તનત અને મુઘલરાજમાં જજિયા વેરાની શરૂઆત બિનમુસ્લિમોની હેરાનગતિ માટે કરવામાં આવી હતી. ઔરંગઝેબે જજિયા ટેક્સની શરૂઆત કરી હતી. મુસ્લિમ દેશોમાં બિનમુસ્લિમ સાથે જજિયા ટેક્સ વસૂલવામાં આવતો હતો. કરતારપુર કોરિડોર દ્વારા ભારત અથવા અન્ય દેશોમાંથી ગુરુનાનક સાહેબના દર્શન કરવા આવનારાઓ પાસેથી 20 ડોલર એન્ટ્રી ફી લેવાનો પાકિસ્તાને પ્રસ્તાવ મૂક્યો છે. તેનો વિરોધ ભારતે કર્યો છે.

મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે ગુરુવારે થયેલી કેબિનેટ બેઠકમાં એન્ટ્રી ફીને લઈને આ વાત કહી અને તેને જજિયા વેરો ગણાવી હતી.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ખોલવાનું એલાન કર્યું છે. તો 11 નવેમ્બરે આ કોરિડોર દ્વારા ભારતીય શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો શ્રીકરતારપુર સાહિબના દર્શન માટે જશે. 12 નવેમ્બરે ગુરુનાનક દેવજીનો 550મો પ્રકાશોત્સવ છે.