Site icon Revoi.in

સોનિયા ગાંધીના નિકટવર્તી કોંગ્રેસી નેતા જનાર્દન દ્વિવેદીએ ઉઠાવ્યો રાહુલ ગાંધી પર સવાલ

Social Share

નવી દિલ્હી: એક સમયે સોનિયા ગાંધીના નિકટવર્તી રહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ પાર્ટીમાં ચાલી રહેલા હાલના સંકટને લઈને રાહુલ ગાંધી પર જ સવાલ ઉઠાવ્યો છે. તેમણે એક પ્રકારે એવી પણ સલાહ આપવાની કોશિશ કરી છે કે પાર્ટીની હારનું કારણ અંદર જ શોધવું જોઈએ, બહાર નહીં. જનાર્દન દ્વિવેદીએ પાર્ટીના નવા અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને ઝડપથી બોલાવવાની માગણી પણ કરી છે. મહત્વપૂર્ણ છે કે આના એક દિવસ પહેલા કોંગ્રેસના નેતા ડૉક્ટર કર્ણ સિંહે પણ અધ્યક્ષનું નામ ઝડપથી નક્કી કરવાની માગણી કરી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીને જ્યારે સીડબલ્યૂસીથી બહાર કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નામ નક્કી કરવાને લઈને થઈ રહેલી ચર્ચાઓ સંદર્ભે સવાલ કરવામાં આવ્યો તો તેમમે સીધી રાહુલ ગાંધી તરફ આંગળી ચિંધતા ક્હ્યુ કે પાર્ટી અધ્યક્ષ દ્વારા કોઈ બંધારણીય વ્યવસ્થા કરવી જોઈતી હતી, તેના પ્રમાણે વર્કિંગ કમિટીના સદસ્યોનો અભિપ્રાય લેવો જોઈતો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે વર્કિંગ કમિટીની બેઠક બોલાવીને નામ પર ઝડપથી નિર્ણય કરવો જોઈએ. સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં ચાલી રહેલા સંકટે દ્વિવેદી અને કર્ણસિંહ જેવા નેતાઓને ઘણાં આહત કર્યા છે.

દ્વિવેદીએ સવાલ પણ ઉઠાવ્યો છે કે કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને પાર્ટીની અંદર બેઠકો ચાલી રહી છે, તેને કોણે અધિકૃત કરી છે? આ કેવી કમિટી છે, જેમાં એ. કે. એન્ટની સામેલ નથી ? જો કોઈ ઔપચારીક રચના હોત, તો તે સૌથી વધુ વિશ્વસનીય હોત. મહત્વપૂર્ણ છે કે દ્વિવેદીએ પહેલા કોંગ્રેસની ઘણી સંગઠનાત્મક ચૂંટણીઓને સંચાલિત કરી છે. તેમણે રાહુલ ગાંધીના વલણ પર સવાલ ઉઠાવવા માટે નામોલ્લેખ વગર 2012નું એક ઉદાહરણ પણ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે કેવી રીતે જ્યારે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની જવાબદારીઓને સંચાલિત કરવા માટે નેતાઓના એક ગ્રુપને ખુદ જ નિયુક્ત કર્યું હતું.

જનાર્દન દ્વિવેદી સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના મહાસચિવ રહ્યા છે. તેમણે 2018માં પોતાની ઈચ્છાથી સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિમ્હારાવ અને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પણ કામ કર્યું છે. પરંતુ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનતા પહેલા જ તેમણે સક્રિય રાજનીતિથી દૂર થવું પડયું છે. માનવામાં આવે છે કે જ્યારથી પાર્ટીમાં રાહુલ ગાંધીના નિકટવર્તીઓનો દબદબો વધવાનું શરૂ થયું, ત્યારથી દ્વિવેદીની સક્રિયતા ઓછી થવાનું શરૂ થયું હતું. સોનિયા ગાંધીના સમયગાળામાં કોંગ્રેસના મીડિયા વિભાગનો પ્રભાર પણ તેઓ સંભાળતા હતા. પરંતુ બાદમાં ધીરેધીરે તેઓ તમામ જવાબદારીઓમાંથી હાંસિયામાં ધકેલાતા ગયા.

જનાર્દન દ્વિવેદીનો દ્રષ્ટિકોણ 88 વર્ષીય કોંગ્રેસી નેતા ડૉ. કર્ણસિંહ તરફથી સોમવારે આપવામાં આવેલા નિવેદન બાદ સામે આવ્યો છે. કર્ણ સિંહે પણ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવીને અધ્યક્ષના નામ પર ઝડપથી નિર્ણય લેવાની તરફદારી કરી છે. તેમણે 25 મેના રોજ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીના રાજીનામાની પેશકશ બાદ કોંગ્રેસના નેતાઓના વલણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે 25 મેના રોજ રાહુલ ગાંધીના રાજીનામાની પેશકશ બાદ પાર્ટીના નેતાઓએ તેમને પોતાનો નિર્ણય બદલવાના નિવેદન પર જ સમય બરબાદ કર્યો. રાહુલ ગાંધીના રાજીનામાની પેશકશ બાદ છ સપ્તાહમાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય નથી. કર્ણ સિંહે રાહુલ ગાંધીના કોંગ્રેસ પદ પરથી રાજીનામાને સાહસિક પગલું ગણાવતા કહ્યુ છે કે આનું સમ્માન કરવાની જગ્યાએ એક માસ તેમને મનાવવામાં સમય બરબાદ કર્યો.