Site icon Revoi.in

જમ્મુમાં કતલ, ગૌરક્ષકો પર આરોપ: સ્થિતિ બગડતા સેનાની તેનાતી કારાઈ

Social Share

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહ કસબામાં એક વ્યક્તિની હત્યા બાદ કોમવાદી હિંસા ફેલાઈ છે. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે વ્યક્તિને શંકાસ્પદ સ્થિતિમાં પશુ તસ્કરીના આરોપમાં નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે ડોડા પ્રશાસને હત્યા પાછળ ગોરક્ષકોની ભૂમિકાનો ઈન્કાર કર્યો છે.

હત્યાના વિરોધમાં સ્થાનિક લોકોએ હિંસક દેખાવો કર્યા હતા. દેખાવકારો મુસ્લિમ બહુલ સેરી બજાર વિસ્તાર તરફ આગળ વધ્યા હતા અને તેને કારણે સ્થિતિ બગડવા લાગી હતી. દેખાવકારોએ લગભગ અડધો ડઝન ગાડીઓને ક્ષતિગ્રસ્ત કરી દીધી અને અન્ય સમુદાયના લોકોના મકાનો પર પથ્થરબાજી પણ કરી હતી. તેના પછી પ્રશાસને સેના બોલાવી અને કર્ફ્યૂ લગાવી દીધો હતો.

સૂત્રોનું કહેવું છે કે 50 વર્ષીય નઈમ અહમદ શાહ ભદરવાહ કિલ્લા મોહલલ્લાનો વતની હતો. તે અન્ય બે લોકો સાથે બસ્તી ગામમાં જઈ રહ્યો હતો. તે વખતે ગુરુવારે રાત્રે લગભગ બે વાગ્યે કોઈએ તેને ગોળી મારી દીધી હતી. નઈમ સાથેના વ્યક્તિ યાકિર હુસેનને ટાંકીને સૂત્રોએ કહ્યુ છે કે જ્યારે નઈમ નલ્થી પુલ નજીક પહોંચ્યો હતો, તો તેણે જોયું કે કેટલાક લોકો ઝાડીઓની પાછળ છૂપાયેલા હતા.

બાદમાં નઈમે તે લોકોને ટોર્ચ કરીને જણાવ્યુ કે તેઓ ખચ્ચરો સાથે છે, ગાયો સાથે નહીં. તેમ છતાં ઝાડીઓની પાછળથી અચાનક કોઈએ ગોળી ચલાવી હતી અને નઈમ શાહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હુસૈન અને અન્ય વ્યક્તિ કોઈપણ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.

કિલ્લા મોહલ્લાના લોકોએ આરોપીઓની ધરપકડ થવા સુધી નઈમની લાશ લેવાનો ઈન્કાર કર્યો છે. સ્થાનિકો દ્વારા લગભગ ચાર કલાક સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં સુરક્ષાદળો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારજનોએ લાશ સ્વીકારી હતી. પોલીસે અડધો ડઝનથી વધારે લોકોને કસ્ટડીમાં લીધા હતા.