Site icon Revoi.in

દક્ષિણના રાજ્યોમાં ચક્રવાતના તાંડવનું એલર્ટ, IMDએ કહ્યું- આગામી 12 કલાકમાં આવી શકે તોફાન

Social Share

ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે 27 એપ્રિલના રોજ કહ્યું કે હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં બનેલું દબાણવાળું ક્ષેત્ર વધારે ગાઢ બન્યું છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. વિભાગે કહ્યું કે તેના આગામી 12 કલાકો દરમિયાન ચક્રવાતી તોફાન અને પછી પ્રચંડ ચક્રવાતી તોફાનમાં પલટાવાની આશંકા છે. હવામાન વિભાગે માછીમારોને રવિવારે સમુદ્રમાં નહીં જવાની સલાહ આપી છે. વિભાગે કહ્યું, “પૂર્વી ભૂમધ્યરેખીય હિંદ મહાસાગર અને તેની સાથે જોડાયેલા દક્ષિણપૂર્વી બંગાળની ખાડીમાં દબાણવાળા ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ તરફ વધી ગયા છે અને તે ઊંડા દબાણવાળા ક્ષેત્રમાં પલટાઈ ગયા છે.”

આઇએમડીએ કહ્યું, “આગામી 12 કલાકોમાં તેના ચક્રવાતી તોફાનમાં પલટાવા અને ત્યારબાદ આગામી 24 કલાકમાં પ્રચંડ ચક્રવાતી તોફાનમાં બદલાવાની આશંકા છે.” હવામાન વિભાગે જણાવ્યું કે રવિવારે 80-90 કિલોમીટર પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની તીવ્રતાથી પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે.

વિભાગના જણાવ્યા પ્રમાણે, તમિલનાડુ અને પુડુચ્ચેરી કિનારાઓ, કોમોરિન વિસ્તારો, મન્નારની ખાડી અને કેરળના કિનારાઓ પર 30-40 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાને પોતાની ચેતવણીમાં કહ્યું, “માછીમારોને આ વિસ્તારોમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.”

આ દરમિયાન 46 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાન સાથે આગામી પાંચ દિવસ સુધી મધ્ય ભારતમાં હીટ વેવની પરિસ્થિતિ ચાલુ રહેશે.