Site icon Revoi.in

પાકિસ્તાન સાથે કાશ્મીર પર જો વાત થશે, તો પીઓકે પર પણ થશે: રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે બુધવારે લોકસભામાં કહ્યુ છે કે પાકિસ્તાન સાથે જો ક્યારેય કાશ્મીર પર વાત થશે, તો માત્ર કાશ્મીર પર જ નહીં. પરંતુ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર પર પણ વાત થશે. વિપક્ષ સતત માગણી કરી રહ્યું છે કે ખુદ વડાપ્રધાન મોદી સંસદાં આવીને પોતાની અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની જાપાનમાં થયેલી વાતચીતની જાણકારી આપે. પોતાની આ માગણીને લઈને વિપક્ષે સંસદમાં હંગામો કર્યો છે.

વિપક્ષની માગણીને જોતા સરકાર તરફથી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જવાબ આપતા કહ્યુ છે કે જાપાનમાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને ભારતના વડાપ્રધાન વચ્ચે વાતચીત થઈ રહી હતી, ત્યારે તેમની સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર હતા. તેવામાં વિદેશ પ્રધાને તેમની વાતચીત સંદર્ભે ગૃહમાં જે નિવેદન આપ્યું છે, તે નિવેદનથી મોટી સચ્ચાઈ બીજી કોઈ હોઈ શકે નહીં.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે કાશ્મીરના મુદ્દા પર કાશ્મીરના સવાલ પર કોઈની મધ્યસ્થતા સ્વીકાર કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી, કારણ કે આ ભારતના રાષ્ટ્રીય સ્વાભિમાનનો પ્રશ્ન છે અને સરકાર પોતાના રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે સમજૂતી કરી શકે નહીં.

રાજનાથસિંહે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે જે વાતચીત થઈ હતી, તેમા કાશ્મીરનો ઉલ્લેખ જ થયો ન હતો.