
કોરોના મહામારીઃ અમદાવાદ-સુરત વચ્ચે દોડતી એસટી બસ સેવા બંધ કરાઈ
- સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય
- ટ્રાવેલ્સ ઓપરેટરોએ પણ બંધ કર્યું બુકીંગ
અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યાં છે. જેથી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તંત્ર દ્વારા અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરત-અમદાવાદ વચ્ચે દોડતી એસટી બસ સેવા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બીજી તરફ સુરતવાસીઓમાં પણ ભય ફેલાયો છે. ત્યારે રત્નકલાકારો પોતાના વતન તરફ પરત ફરી રહ્યાં છે. આ ઉપરાંત રોજગારીની શોધમાં ગયેલા લોકો પણ પોતાના ગામ પરત જઈ રહ્યાં છે. બીજી તરફ કોરોના ફરી એકવાર અમદાવાદમાં અજગર ભરડો ન લે તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદથી સુરત આવતી અને જતી એસટી બસ સેવા હાલ બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પણ સુરતનું બુકીંગ બંધ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસ હાઈવે પર ખાનગી વાહનમાં સુરત તરફથી અમદાવાદ આવતા પ્રવાસીઓને અટકાવીને મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ રેપીટ ટેસ્ટમાં જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને પરત મોકલી આપવામાં આવે છે.