Site icon Revoi.in

ગાંધી પરિવારના નિકટવર્તી સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

Social Share

ગાંધી-નહેરુ પરિવાર સાથે બેહદ ઘનિષ્ઠતા ધરાવતા સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે.

સંજય સિંહના પ્રથમ પત્ની ગરિમા સિંહ અમેઠી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.

ગાંધી પરિવારના નિકટવર્તી ડૉ. સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. બુધવારે ભાજપમાં તેઓ સામેલ થઈ રહ્યા છે. સંજય સિંહ અમેઠી રાજપરિવારમાંથી આવે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ પોતાની જમાનત પણ બચાવી શક્યા ન હતા.

ડૉ. સંજય સિંહ આસામથી રાજ્યસભાના સાંસદ છે અને તેમના કાર્યકાળમાં હજી પણ એક વર્ષ બાકી બચ્યું હતું. તેમ છતાં તેમણે રાજ્યસભા અને કોંગ્રેસ બંને છોડવાનું એલાન કર્યું છે. જો કે સંજય સિંહે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. પરંતુ રામમંદિર આંદોલન દરમિયાન તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

સંજય સિંહે રાજીનામું આપ્યા બાદ કહ્યુ છે કે હું કોંગ્રેસ એટલા માટે છોડી રહ્યો છું, કારણ કે કોંગ્રેસ નેતૃત્વમાં ઝીરો છે. હું સૌનો સાથ, સૌના વિકાસને કારણે મોદીનું સમર્થન કરું છું. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ હજીપણ ભૂતકાળમાં છે, તેને ભવિષ્યની જાણકારી નથી. આજે આખો દેશ પીએમ મોદીની સાથે છે અને જો દેશ તેમની સાથે છે, તો હું પણ તેમની સાથે છું. આવતીકાલે હું ભાજપમાં સામેલ થઈશ. મે પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.

સંજય સિંહ 1998માં અમેઠી લોકસભામાં બેઠક પરથી કોંગ્રેસના કેપ્ટન સતીષ શર્માને હરાવીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેના પછી તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન હતા. રાહુલ ગાંધીના કોંગ્રેસમાં એન્ટ્રી કર્યા બાદ તેમણે ભાજપ છોડીને કોંગ્રેસમાં વાપસી કરી હતી. 2009માં લોકસભાની ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

સંજય સિંહ 2014ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજ થઈ ગયા હતા. તેના પછી પાર્ટીએ તેમને આસામથી રાજ્યસભા મોકલ્યા હતા. તેને કારણે સુલ્તાનપુર બેઠક પરથી તેમના બીજા પત્ની અમિતા સિંહ ચૂંટણી લડયા હતા. પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. સંજય સિંહના પહેલા પત્ની ગરિમા સિંહ હાલ અમેઠીથી ભાજપના ધારાસભ્ય છે.

સંજય સિંહના પત્ની અમિતા સિંહે પણ કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ (યુપી)ના અધ્યક્ષ હતા. સંજય સિંહે કહ્યુ છે કે 1984થી કોંગ્રેસની સાથે સંબંધ છે. પાર્ટી છોડવાનો નિર્ણય કોંગ્રેસને કોઈપણ રીતે પ્રભાવિત કરશે નહીં. ગત પંદર વર્ષમાં કોંગ્રેસમાં જે કંઈ થયું, તે પહેલા ક્યારેય થયું નથી. ઘણું બું વિચાર્યા બાદ મે આ નિર્ણય લીધો છે.