Site icon Revoi.in

આર્ટિકલ- 370 હટાવવાના નિર્ણય પર કોંગ્રેસી ભાઈ-બહેન રાહુલ-પ્રિયંકા ગાંધીમાં પણ “ભાગલા”!

Social Share

નવી દિલ્હી :  આર્ટિકલ – 370માં ઐતિહાસિક નિર્ણય બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગૃહમાં કોંગ્રેસના વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ભલે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવવાનો વિરોધ કરી રહીછે. પરંતુ કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી અનુચ્છેદ-370ને હટાવવાના પક્ષમાં દેખાઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી પહેલા સોનિયા ગાંધી સાથે રાજકીય ઘનિષ્ઠતા ધરાવતા જનાર્દન દ્વિવેદી સહીતના કોંગ્રેસના ઘણાં વરિષ્ઠ નેતાઓએ પણ કાશ્મીર કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 પર મોદી સરકારને ટેકો આપતા દેખાયા છે.

જો કે રાહુલ ગાંધીએ અનુચ્છેદ-370ને હટાવવાના સરકારના નિર્ણયની તરફદારી કરી નથી અને તેમના ખાસ ગણાતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કલમ-370 પર સરકારની સામે બળાપો કાઢતા નિર્ણયનો આકરો વિરોધ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના મિલિન્દ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, જનાર્દન દ્વિવેદી , અદિતિ સિંહ સહીતના ઘણાં નેતાઓએ કલમ-370ને હટાવવાના મોદી સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે.

મહત્વપૂર્ણ છે કે સોમવારે મોદી સરકારે રાજ્યસભામાં જમ્મુ-કાસ્મીરની અનુચ્છેદ- 370ની મોટાભાગની જોગવાઈઓને સમાપ્ત કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા છે. ભાજપ જ્યાં આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને ઉજવણી કરી રહી છે. તો બીજી તરફ વિપક્ષી દળ કોંગ્રેસ આ વાતને લઈને ગુંચવણમાં છે કે તે કેન્દ્ર સરકારના પગલાનું સમર્થન કરે અથવા વિરોધ કરે. કોંગ્રેસના ઘણાં નેતાઓ અનુચ્છેદ-370ના ઐતિહાસિક નિર્ણયની સાથે દેશ અને ભાજપની સરકારની સાથે દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસ કાર્યસમિતિના સદસ્ય દીપેન્દ્ર હુડ્ડાએ આર્ટિકલ – 370ને હટાવવાનું સમર્થન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેનો અંગત અભિપ્રાય છે કે 21મી સદીમાં અનુચ્છેદ-370નું ઔચિત્ય નથી અને તેને હટાવવી જોઈએ. આવું માત્ર દેશની અખંડિતતા માટે જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીર જે  આપણા દેશનું અભિન્ન અંગ છે, તેના હિતમાં પણ છે. હવે સરકારની જવાબદારી છે કે તેનું અમલીકરણ શાંતિ અને વિશ્વાસના વાતાવરણમાં થાય.

રાયબરેલી સદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિસિંહે પણ આ મુદ્દા પર ખુલીને મોદી સરકારના નિર્ણયને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહે ટ્વિટ કરીને કહ્યુ છેકે અમે એકસાથે ઉભા છીએ. જય હિંદ. તેમની આ પોસ્ટ પર ઘણાં યૂઝર્સે લખ્યું છે કે તમે તો કોંગ્રેસના છો. અદિતિ સિંહે કહ્યું છે કે હું એક હિંદુસ્તાની છું. અદિતિ સિંહે કહ્યું છે કે તે આ નિર્ણયને પાર્ટી લાઈનથી હટીને આવકારે છે. તેમણે એમ પણ કહ્યું છે કે ત્યાં હવે શાંતિ હોવી જોઈએ.

જનાર્દન દ્વિવેદીએ કહ્યુ છે કે તેઓ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કરે છે. મારા રાજકીય ગુરુ રામમનોહર લોહિયા હંમેશાથી આ કલમનો વિરોધ કરતા હતા. વિલંબ થવા છતાં સરકારે એક ઐતિહાસિક ભૂલ સુધારી છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયથી મને ઘણી ખુશી થઈ છે. તેમણે કહ્યુ છે કે તેઓ પાર્ટી તરફથી બોલી રહ્યા નથી, પરંતુ પોતાનો અંગત અભિપ્રાય આપી રહ્યા છે. આમા કોઈ શંકા નથી કે કાલે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત ઉપાય લોકસભામાં પારીત કરવામા આવશે. આખરે માત્ર એક જ મુદ્દો બાકી બચશે તે હશે જમ્મુ-કાશ્મીરના વિકાસનો.