Site icon Revoi.in

UNGAમાં ચીન પાકિસ્તાનના પગલે, ભારતે જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વ્યક્ત કર્યો વાંધો

Social Share

ચીને યુએનજીએમાં પાકિસ્તાનના પગલે ચાલીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે યુએનજીએમાં ચીનના જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વાંધો વ્યક્ત કર્યો છે.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીર મુદ્દો ભૂતકાળનો વિવોદ છે અને તેનું સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો પ્રમાણે યોગ્ય અને શાંતિપૂર્વક ઉકેલ થવો જોઈએ.

તેમણે કહ્યુ હતુ કે એવું કોઈપણ પગલું ઉઠાવવું જોઈએ નહીં, જેનાથી યથાસ્થિતિમાં કોઈ પરિવર્તન થાય. વાંગ યીએ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન બંનેના પાડોશી હોવાના નાતે, ચીન એ જોવાની આશા કરે છે કે બંને પક્ષોની વચ્ચે વિવાદનો ઉકેલ યોગ્ય રીતે થાય અને સંબંધોમાં સ્થિરતા બહાલ થાય.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પોતાના સંબોધન દરમિયાન ફરી એકવાર કાશમીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કાશ્મીરમાંથી કર્ફ્યૂ હટયા બાદ ત્યાં ઘણો ખૂન-ખરાબો થશે. આના પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો હતો.

ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપતા કહ્યુ છે કે હું વિચારું છું કે હું કાશ્મીરમાં હોત અને 55 દિવસોથી બંધ હોત, તો હું પણ બંદૂક ઉઠાવી લેત. તમે આમ કરીને લોકોને કટ્ટર બનાવી રહ્યા ચો. હું ફરીથી કહેવા ચાહું છું કે આ ઘણો મુશ્કેલી ભરેલો સમય છે. એ પહેલા કે પરમાણુ યુદ્ધ થાય, સંયુક્ત રાષ્ટ્રની કંઈક કરવાની જવાબદારી છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. જો બંને દેશો વચ્ચે યુદ્ધ થશે, તો કંઈપણ થઈ શકે છે.

ઈમરાને કહ્યુ હતુ કે કાશ્મીરમાં લોકોને જાનવરોની જેમ કેમ બંધ કરવામાં આવ્યા છે. તેઓ માણસો છે. કર્ફ્યૂ ઉઠાવવામાં આવશે તો શું થશે. ત્યારે મોદી શું કરશે. તેમને લાગે છે કે કાશ્મીરના લોકો આ સ્થિતિને સ્વીકારી લેશે? કર્ફ્યૂ ઉઠાવાયા બાદ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, લોકો બહાર આવશે. શું મોદીએ વિચાર્યું છે કે ત્યારે શું થશે?

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી દ્વારા જમ્મુ-કાશ્મીર, તથા લડાખનો ઉલ્લેખ કરવા પર શનિવારે આકરો વાંધો વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવતા ચીને મહાસભામાં કહ્યુ છે કે યુએનના ચાર્ટર, યુએનએસસીના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરાર પ્રમાણે, વિવાદને શાંતિપૂર્ણ તથા યોગ્ય રીતે ઉકેલવો જોઈએ. પાકિસ્તાનના ઘનિષ્ઠ સાથીદાર ચીને આ વાત પર પણ ભાર મૂક્યો કે આવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં કે જેનાથી એકતરફી રીતે યથાસ્થિતિમાં પરિવર્તન કરવામાં આવે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અંગ છે અને ક્ષેત્રમાં તાજેતરનો ઘટનાક્રમ સંપૂર્ણપણે દેશનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ છે કે ચીન ભારતના આ વલણથી સંપૂર્ણપણે પરિચિત છે કે જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અંગ છે તથા તાજેતરનો ઘટનાક્રમ સંપૂર્ણપણે અમારો આંતરીક મામલો છે. રવીશ કુમારે કહ્યુ છે કે ભારત આશા કરે છે કે અન્ય દેશ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અકંડતાનું સમ્માન કરે.

તેમણે કહ્યુ છે કે અમે આશા કરીએ છીએ કે અન્ય દેશ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું સમ્માન કરશે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર દ્વારા યથાસ્થિતિને પરિવર્તિત કરવાના પ્રયાસોથી બચશે.