Site icon Revoi.in

ભાજપે RSS પાસે માંગ્યા 12 પ્રચારક, પાર્ટી સંગઠનમાં મોટા પરિવર્તનોની આહટ

Social Share

નવી દિલ્હી: ભાજપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી 12 ઊર્જાવાન પ્રચારકોની માગણી કરી છે. જેથી તેમને રાષ્ટ્રીય સ્તરથી લઈને પ્રદેશોમાં સંગઠનની જવાબદારી આપી શકાય. આરએસએસમાંથી આવનારા પ્રચારકોને સામાન્ય રીતે ભાજપમાં સંગઠન મંત્રીનું દાયિત્વ આપવાની પરંપરા છે. ભાજપના રાષ્ટ્રીય એકમોથી લઈને પ્રદેશ અને ક્ષેત્રીય એકમોમાં આરએસએસના પ્રચારકો માટે બેઠકો હોય છે.

આરએસએસની 11, 12 અને 13 જુલાઈની આંધ્રપ્રદેશના વિજયવાડમાં થનારી બેઠક બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ બેઠકમાં ભાજપની માગણી પર આરએસએસ નિર્ણય લઈ શકે છે. આજતકની વેબસાઈટ પર વિશ્વાસપાત્ર સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સહીત ટોચના પદદાધિકારીઓની હાજરીમાં થનારી આ બેઠકમાં દેશભરમાંથી સંઘના ત્રણસો જેટલા પ્રચારકો ભાગ લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે જો સંઘ 12 પ્રચારકો આપવા માટે રાજી થશે, તો ભાજપમાં રાષ્ટ્રીયથી લઈને પ્રદેશ સ્તર પર સંગઠન મંત્રી તરીકે કેટલાક નવા ચહેરા જોવા મળશે.

આરએસએસની જુલાઈમાં યોજાનારી બેઠક ઘણીબધી રીતે ખાસ છે. તેમાં સંઘ અને પોતાના પરિવાર અથવા આનુષંગિક સંગઠનોમાં જવાબદારીઓ નિભાવી રહેલા પ્રચારકોના કાર્યક્ષેત્રમાં જરૂરિયાતના હિસાબથી પરિવર્તનનો પણ નિર્ણય કરે છે. જો સંબંધિત વર્ષ દરમિયાન ભાજપ તરફથી સંગઠન સ્તર પર કામ માટે ફાયરબ્રાન્ડ પ્રચારકોની માગણી થાય છે, તો સંઘ અપેક્ષાઓ પર ખરા ઉતરનારા પ્રચારકોને પણ આ બેઠકમાં ભાજપને આપવાનો નિર્ણય કરે છે. આરએસએસ અને ભાજપના વિશ્વસ્ત સૂત્રોને ટાંકીને આજતકની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈ બાદ જલ્દીથી ભાજપથી લઈને સંઘ અને આનુષંગિક સંગઠનોમાં કાર્યરત કેટલાક પ્રચારક નવી ભૂમિકાઓમાં જોવા મળી શકે તેમ છે.

સંઘની દર વર્ષે ત્રણ મુખ્ય બેઠકો થાય છે. માર્ચમાં જનરલ મીટિંગ અથવા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક થાય છે. તેમાં સંઘ નીતિગત નિર્ણય કરવાની સાથે માત્ર સંગઠનમાં આંતરીક પરિવર્તન કરે છે. જ્યારે જુલાઈની બેઠકમાં સંઘ પોતાના જ નહીં, પરંતુ આનુષંગિક 35થી વધારે સંગઠનો સાથે જોડાયેલા પ્રચારકોના દાયિત્વોમાં પણ જરૂરિયાત પડવા પર પરિવર્તન કરે છે.

ઉદેશ્ય છે કે પ્રચારક નવી જવાબદારીઓ નિભાવીને નવી ઊર્જાથી કામ કરે. માર્ચવાળી બેઠકમાં જ્યાં સંઘના પ્રચારકથી લઈને અન્ય સ્તરના પદાધિકારીઓની સંખ્યા લગભગ દોઢ હજાર હોય છે, ત્યારે જુલાઈની આ બેઠકમાં માત્ર 300 વિશુદ્ધ પ્રચારક સામેલ હોય છે. આ બેઠકમાં આરએસએસના પૂર્ણકાલિક પ્રચારકોને જ ભાગ લેવાની મંજૂરી હોય છે. દિવાળીની આસપાસ સંઘની ત્રીજી મુખ્ય બેઠખ થાય છે, જેમાં સ્વયંસેવકોના વ્યક્તિત્વ વિકાસથી લઈને અન્ય ગતિવિધિઓની પણ ચર્ચા થાય છે. આ બેઠકમાં પ્રચારકો સિવાય આરએસએસના સંગઠનો સાથે જોડાયેલા દાયિત્વો સંભાળનારા પદાધિકારીઓ પણ સામેલ હોય છે.

સંઘની જુલાઈની બેઠકનો એજન્ડા શું હોય છે, આ ક્યાં પ્રકારની બેઠક હોય છે? આ સવાલ પર સંઘના વિચારક દિલીપ દેવધરને ટાંકીને આજતકની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠક એકદમ બ્રેન સ્ટોર્મિંગ માટે હોય છે. આમા માત્ર વિશુદ્ધ પ્રાંત પ્રચારકથી લઈને ઉપરના પદાધિકારી હોય છે. તેમા આનુષંગિક સંગઠનોના પદાધિકારી પણ હોતા નથી. આમા સંઘના પ્રચારક મનની વાત કરે છે. તેઓ કોઈપણ પ્રકારના ખચકાટ વગર પોતાના વિચાર વ્યક્ત કરે છે. આ બેઠકને આરએસએસ આ ઉદેશ્યથી પણ આયોજીત કરે છે કે તેમા પ્રચારક ખુલીને વાત રજૂ કરી શકે. તેવામાં આ બ્રેન સ્ટોર્મિંગ બેઠક આરએસએસ માટે ઘણી ઉપયોગી હોય છે. પ્રાંત પ્રચારકો પાસેથી મળેલા ફીડબેકના આધારે સંઘને આગળની રણનીતિઓ નિર્ધારીત કરવામાં મદદ મળે છે.