Site icon Revoi.in

5 વર્ષમાં એક સાંસદ તરીકે PM મોદીએ વારાણસીને શું-શું આપ્યું?

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી વારાણસી સીટ પરથી શુક્રવારે નોમિનેશન દાખલ કરશે. મોદી વિરુદ્ધ કોંગ્રેસે અજય રાય અને સપાએ શાલિની યાદવને ઉમેદવાર બનાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીને વિપક્ષે વોકઓવર આપી દીધું છે. નોમિનેશનના એક દિવસ પહેલા ગુરૂવારે પીએમના પહોંચતા જ વારાણસી ‘મોદીમય’ થઈ ગયું. તેનાથી તેમની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ એમનેમ જ કાશીને 2014માં પોતાના સંસદીય વિસ્તાર તરીકે પસંદ નથી કર્યું, પરંતુ તેઓ જાણતા હતા કે જો કાશીને સાધી શકાશે તો સૌથી વધુ સીટ્સવાળું ઉત્તરપ્રદેશ પણ સાધી શકાશે અને જો યુપી સધાઈ ગયું તો આખો દેશ સાધી શકાશે. 2014માં કાશીથી નોમિનેશન ભર્યા પછી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, “ન મને કોઈએ મોકલ્યો છે અને ન હું અહીંયા આવ્યો છું, મને તો ગંગામાએ બોલાવ્યો છે.”

વારાણસીમાં મોદીના રોડ શૉમાં ઉમટ્યું માનવ મહેરામણ

તે જ ગંગામાના આશીર્વાદ મેળવીને પ્રચંડ બહુમત સાથે નરેન્દ્ર મોદી કાશીના સાંસદ અને દેશના વડાપ્રધાન બન્યા. એકવાર ફરી કાશીના રણમાં મોદી પોતાનું નસીબ અજમાવવા માટે ઉતર્યા છે. છેલ્લા પાંચ વર્ષોમાં કાશીને આમ તો ઘણી યોજનાઓ મળી. જેમાં કાશીને જાપાનની ધાર્મિક નગરી ક્યોટોનું સ્વરૂપ આવાની જીદ પણ છે અને સ્માર્ટસિટી બનાવવાનો ઉત્સાહ પણ છે. તો દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું સપનું પણ છે.

કાશી અને તેની આસપાસના વિસ્તારોમાં વિકાસની આશરે 24,000 કરોડથી વધુની પરિયોજનાઓ ચાલી રહી છે. સાથે જ હૃદયયોજના હેઠળ અહીંયાની ધરોહર, ઐતિહાસિક સ્મારકોનું સંરક્ષણ અને સંવર્ધનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીને જાપાનના ધાર્મિક નગર ક્યોટો જેવું બનાવવાનું વચન આપ્યું હતું. આ માટે મોદી પોતે જાપાન ગયા, જાપાનના પીએમ શિંજો આબે સાથે વાત કરી. ત્યારબાદ શિંજો આબે બનારસ આવ્યા અને બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ રાજેન્દ્ર પ્રસાદ ઘાટ પર પંડિત છન્નૂલાલ મિશ્રાના ગાયન સાથે ગંગા આરતીનો લુત્ફ ઉઠાવ્યો અને કાશીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે બંને દેશો વચ્ચે કરાર થયા. ત્યારબાદ જાપાનના એક્સપર્ટ્સની એક ટીમે બનારસની મુલાકાત લીધી.

વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ કોરિડોર કાશી વિશ્વનાથ મંદિર, મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટની વચ્ચે 25,000 સ્ક્વેર વર્ગ મીટરમાં બની રહ્યો છે. તે અંતર્ગત ફૂડ સ્ટ્રીટ, રિવરફ્રન્ટ સહિત બનારસની સાંકડી શેરીઓને પહોળી કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના પૂરા થયા પછી તમે ગંગાકિનારે થઈને 50 ફૂટના રસ્તા પરથી બાબા વિશ્વનાથ મંદિર જઈ શકશો. આ ઉપરાંત, અહીંયા તમને સારી સ્ટ્રીટલાઇટ્સ, સ્વચ્છ રસ્તાઓ, પીવાનું પાણી વગેરેની વ્યવસ્થા મળશે.

વારાણસી વિસ્તારમાં પરંપરાથી જ શિલ્પનું જ્ઞાન છે. એ જ કારણે અહીંના આઠ ઉત્પાદનોને જીઆઇ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન તરફથી બૌદ્ધિક સંપદા અધિકારનો દરજ્જો મળેલો છે. નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે બનારસના વણાટકામ અને હસ્તશિલ્પ સાથે સંકળાયેલા ઉત્પાદનોને વૈશ્વિક સ્તર પર બુલંદીઓ પર પહોંચાડશે, ઓળખ અપાવશે. આ ઉદ્દેશ હેઠશ વારાણસીના મોટા લાલપુરમાં દીનદયાલ હસ્તકલા સંકુલ એટલેકે ટ્રેડ ફેસિલિટી સેન્ટર ખોલવામાં આવ્યું.

તેના દ્વારા વણકરોનો માલ ખરીદવાની વ્યવસ્થા છે, જેથી તેમનો માલ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચી શકે અને તેમની આવકમાં વધારો થાય. સાથે જ આ સેન્ટર લોકોની સાથે વિશ્વમાં પણ કાશી ક્ષેત્રના હેંડલૂમ અને હસ્તશિલ્પ વિશે જાણકારી આપશે અને તેની સંસ્કૃતિને પણ સાચવીને રાખશે. કાશીના લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ વારાણસીને દુનિયાનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું વચન આપ્યું હતું. તેની પાછળ વિચાર એ છે કે જો શહેર સ્વચ્છ રહેશે તો પ્રવાસનની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે આકર્ષણ વધશે અને પર્યટન ઉદ્યોગનો પણ વિકાસ થશે. આ જ કારણે વડાપ્રધાને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનનો આગાઝ કાશીથી કર્યો.

અસ્સી ઘાટ પર પૂરની માટીથી લદાયેલી સીડીઓ પર મોદીએ પોતે પાવડો ચલાવ્યો હતો અને જગન્નાથ મંદિરની ગલીમાં ઝાડૂ લગાવ્યુ હતું. નગર નિગમ અને વારાણસી એડમિનિસ્ટ્રેશને આ અભિયાનને ગંભીરતાથી લીધું. જેના કારણે વારાણસી શહેરનું નામ 2018માં દેશના સૌથી સ્વચ્છ શહેરોની લિસ્ટમાં 29મા સ્થાને પહોંચી ગયું. રાજ્યમાં રાજધાની લખનઉને પાછળ છોડીને કાશી પહેલા સ્થાન પર છે. જ્યારે 2016માં કાશી સ્વચ્છ શહેરના રેન્કિંગમાં 65મા સ્થાને હતું.

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઊર્જા ગંગાની શરૂઆત 2017માં થઈ. જે હેઠળ ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (GAIL)એ ડીઝલ રેલ કારખાના પરિસમાં પીએનજી પાઇપલાઈન નાખવાનું કામ શરૂ કરી દીધું. વારાણસીમાં ઊર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ 1000 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે જેનાથી બીએચયુ અને ડીરેકા પરિસરના એક હજાર ઘર પીએનજી પાઇપલાઇન સાથે જોડાઈ જશે.

આઇપીડીએસ યોજનાએ શહેરમાં લટકતા વીજળીના તારો અને તેમના ગૂંચળાને ગાયબ કરવાનું શરૂ કરી દીધું છે. પીએમએ આઇપીડીએસની ભેટ આપી તો શહેરની ઘણી કોલોનીઓ અને મહોલ્લાઓમાં વીજળીના તાર ભૂમિગત થઈ ગયા, હવે આખા શહેરમાં આ કવાયત ચાલી રહી છે.

ગંગામાં અલાહાબાદથી હલ્દિયાની વચ્ચે શરૂ થનારી જળ પરિવહન યોજનામાં કાશીને કાર્ગો હબ તરીકે વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના માટે રામનગરમાં મલ્ટી મોડલ ટર્મિનલ બની રહ્યું છે જેને હવે કાર્ગો હબના રૂપમાં વિસ્તારવામાં આવી રહ્યો છે. આ ટર્મિનલમાં કાર્ગો ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ, બેવરેજ હાઉસ અને પેકિંગની સુવિધા હશે. હબ બન્યા પછી દેશના ખૂણેખૂણામાંથી ઉત્પાદનો રેલવે, રોડ અને જળમાર્ગે કાશી પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને ગંગામાએ બોલાવ્યો છે, એટલે ગંગાની સ્વચ્છતાને લઈને પીએમ મોદીની સંવેદના જગજાહેર છે. મોદી સરકારમાં આના માટે અલગથી મંત્રાલયનું ગઠન કરવામાં આવ્યું. ગંગાને સ્વચ્છ કરવા માટે મોદી સરકારની મહત્વાકાંક્ષી નમામિ ગંગે યોજનાના પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યા છે, ત્યારે સંસદીય વિસ્તાર વારાણસીમાં ગંગા નદીમાં પ્રદૂષણને દૂર કરવા માટે ઘણા સારા પગલાંઓ લેવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે કાશીવાસીઓને 600 કરોડની પરિયોજનાઓ ભેટ આપી હતી. જેમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, નાગેપુર ગ્રામ પેયજળ યોજના અને વિદ્યુત સબ સ્ટેશન વગેરે જેવી યોજનાઓ સામેલ છે.