Site icon Revoi.in

અમૂલના ડાયરેક્ટર પદની ચૂંટણીનું પરિણામ જાહેર

Social Share

અમદાવાદ: ગુજરાતમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન એટલે કે અમુલ ડેરીના નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. જેમાં પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો વિજય થયો હતો. ખંભાત બેઠક પર સીતાબેન પરમારની જીત, આંણદ બેઠક પર કાંતિ સોઢા વિજેતા, ઉમરેઠના MLA ગોવિંદ પરમારની હાર, બાલાસિનોરમાં પૂર્વ MLA રાજેશ પાઠક વિજેતા, માતરમાં કોંગ્રેસના સંજય પટેલની જીત અને  કેસરીસિંહ સોલંકીની હાર થઈ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમૂલ ડેરીના નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીમાં 99.91 ટકા મતદાન થયું હતું. જેમાં આણંદ, ખંભાત, પેટલાદ, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, માતર અને વિરપુર બેઠક પર 100 ટકા મતદાન થયું હતું, જ્યારે બોરસદ બેઠક પર 98.94 ટકા, મહેમદાવાદ બેઠક પર 98.98 ટકા અને નડિયાદ બેઠક પર 99.01 ટકા મતદાન થયું હતું. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના કુલ 1049 પૈકી 1046 મતદાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

આ ચૂંટણીમાં રામસિંહ પરમાર બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે 11 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેની મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. અમુલના નિયામક મંડળનની આગામી પાંચ વર્ષ માટેની શનિવારે યોજાયેલી ચુંટણીમાં 99.71 % મતદાન થયું હતુ. મતગણતરીમાં કુલ 18 કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવી છે. મત ગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.