Site icon Revoi.in

કર્ણાટકમાં IMA ગોટાળો: કોંગ્રેસના ‘સસ્પેન્ડેડ’ ધારાસભ્યે 400 કરોડ દબાવ્યા, જનતા સાથે 2000 કરોડની ઠગાઈ

Social Share

કર્ણાટકની એક કંપની આઈએમએ જ્વેલ્સનના રોકાણકારોએ મોટા રિટર્નની લાલચ આપીને લગભગ 20000 કરોડ રૂપિયા એકઠા કર્યા અને હવે તેના સંસ્થાપક ફરાર છે. તે આઈએમએ જ્વેલ્સના ફરાર સંસ્થાપકની કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં મંસૂર ખાન કહે છે કે કોંગ્રેસના ધારાસભ્ય રોશન બેગે તેમની પાસેથી 400 કરોડ રૂપિયા ટિકિટ અપાવવાના નામ પર લીધા અને ટિકિટ પણ અપાવી શક્યા નહીં. હવે આ નાણાં પાચા આપી રહ્યા નથી. તેના કારણે તેમને મોટું નુકસાન થયું છે.

કર્ણાટકના શિવાજીનગરથી ધારાસભ્ય રોશન બેગને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પ્રમાણે, રોશન બેગને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે બેગે પોતાના પરના આરોપોને પાયાવિહોણા ગણાવીને રદિયો આપ્યો હતો.

કર્ણાટક સરકારે આઈએમએ જ્વેલ્સની છેતરપિંડીની તપાસ માટે 11 સદસ્યોની એસઆઈટી બનાવી છે. કંપનીની પોન્જી સ્કીમમાં હજારો લોકોએ રોકાણ કર્યું હતું અને લગભગ 38 હજાર લોકોએ છેતરપિડીંની ફરિયાદ કરી છે. આ કેસને સીબીઆઈને સોંપવાની માગણી કરતા 18 લોકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કંપનીના લગભગ200 કર્મચારીઓ પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ કર્મચારીઓ હવે બેરોજગાર થઈ ગયા છે. ખાનની કંપનીઓના ઘણાં ડાયરેક્ટરો એરેસ્ટ થઈ ગયા છે. તેમના સ્ટોરમાંથી મોટાભાગની જ્વેલરી ગાયબ છે. આ મામલામાં કોંગ્રેસના પ્રધાન આર. વી. દેશપાંડેનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે.

આ સ્કીમમાં કર્ણાટક સિવાય આંધ્ર, તેલંગાણા અને તમિલનાડુના ઘણાં રોકાણકારોએ પણ નાણાં લગાવ્યા છે. આઈ મોનિટરી એડવાઈઝરી અસલમાં એક ઈસ્લામિક બેન્કિંગ અને હલાલા રોકાણ ફર્મ છે. જે શરિયા પ્રમાણે યોગ્ય રોકાણ અને તેના પર રિટર્ન અપાવવાનો દાવો કરે છે. માટે આઈએમએ જ્વેલ્સમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું છે. આઈએમએએ પોતાની સ્કીમમાં 1થી 18 ટકાના મોટા રિટર્નનો વાયદો કર્યો હતો. તેની લાલચમાં હજારો રોકાણકારો ફસાય હતા. આવી રીતે કંપનીએ અંદાજે 2000 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.

આ એક પોન્જી સ્કીમની જેમ ચાલી રહ્યું હતું. ગત ત્રણ માસથી કંપની રોકાણકારોને રિટર્ન આપી રહી નથી. રોકાણકાર પોતાના માં પાછા આપવાની માગણી સાથે તેના મુખ્યમથકની બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

આ મામલાનો ખુલાસો 10મી જૂને થયો,જ્યારે આઈએમએના સંસ્થાપક અને પ્રમોટર મોહમ્મદ મંસૂર ખાનની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તે આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યો છે. તેમા તે કહે છે કે તે નેતાઓ અને અધિકારીઓને લાંચ આપીને થાકી ગયો છે. તેનો આરોપ છે કે શિવાજીનગરના કોંગ્રેસના ધારાસભ્ય રોશન બેગે તેની પાસેથી ચારસો કરોડ લીધા અને પાછા આપ્યા નથી. તેની અને તેના પરિવારની જાનમાલને ખતરો છે. આ ઓડિયો ક્લિપના વાયરલ થયા બાદથી મંસૂર ખાન ફરાર છે. તેના દેશની બહાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

મંસૂર ખાનની સાથે રાજ્યના ઘણાં મોટા મુસ્લિમ નેતાઓ મોટા કાર્યક્રમોમાં જોવા મળતા હતા. જો કે રોશન બેગ સતત એ વાતને રદિયો આપતા રહ્યા છે કે આઈએમએ સાથે તેમને કોઈ લેવાદેવા છે અને તેમનું કહેવું છે કે આ ઓડિયો ક્લિપ તેમની છબીને ખરાબ કરવા માટેની છે.

એક રોકાણકારે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ કે તેણે ગત વર્ષ આ સ્કીમમાં પચ્ચીસ લાખ રૂપિયા લગાવ્યા હતા અને તેને નવ માસ સુધી રિટર્ન પણ મળ્યું. પરંતુ જ્યારે વિધાનસભા ચૂંટણી અભિયાન શરૂ થયું, તો તેને કહેવામાં આવ્યું કે હાલ નાણાં ફસાઈ ગયા છે અને બે માસ સુધી રિટર્ન માટે રાહ જોવી પડશે. મંસૂર ખાનના પાર્ટનરે પણ 1.3 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ કરી છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે કે આ મામલાને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે અને પોલીસ દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ મામલાની તપાસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થઈ રહી છે.