Site icon Revoi.in

યોગ્ય રસ્તા પર આવ્યું ચીન, આખા જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશને માન્યા ભારતનો હિસ્સો

Social Share

નવી દીલ્હી: સામાન્ય રીતે અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવતા ચીને પોતાના એક નક્શામાં આખા જમ્મુ-કાશ્મીર અને અરુણાચલપ્રદેશના ભારતના ભાગ તરીકે દર્શાવ્યા છે. બીજિંગમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ એટલે કે બીઆરઆઈની બીજી સમિટમાં ચીન નક્શા પ્રદર્શિત કરી રહ્યું હતું. તેમા ચીને આખા જમ્મુ-કાશ્મીર અને અરુણાચલપ્રદેશને ભારતનો હિસ્સો દર્શાવ્યા છે.

આ નક્શામાં ભારતને પણ બીઆરઆઈનો હિસ્સો દર્શાવવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભારતે આ સમિટનો બહિષ્કાર કર્યો છે. આ પહેલા 2017માં બીઆરઆઈની પહેલી સમિટમાં પણ ભારત સામેલ થયું ન હતું. આ સમિટમાં 37 દેશ સામેલ હોવાની સંભાવના છે. બીઆરઆઈનો ઉદેશ્ય રાજમાર્ગો, રેલવે લાઈનો, પોર્ટ્સ અને સી-લેન નેટવર્કના માધ્યમથી એશિયા, આફ્રિકા અને યૂરોપને જોડવાનું લક્ષ્ય છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ સમિટની શરૂઆત ગુરુવારે થઈ હતી. આ નક્શા ચીનના વાણિજ્ય મંત્રાલયે રજૂ કર્યા હતા.

આખા જમ્મુ-કાશ્મીર અને અરુણાચલપ્રદેશને ભારતમાં સામેલ હોવાનું દર્શાવતા ચીનના નક્શા તેનું હેરાન કરનારું પગલું છે, કારણ કે તાજેતરમાં ચીને આવા હજારો નક્શા નષ્ટ કર્યા હતા. જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.

ચીનના તાજેતરના પગલાથી જાણકારો પણ આશ્ચર્યચકિત છે. ભારત-ચીનના મામલાના જાણકાર હવે એ વાતની જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છે કે આખા કાશ્મીરને ભારતનો હિસ્સો દર્શાવવો ભારતને ખુશ કરવાની ચીનની ચાલબાજી તો નથી ને. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ નવેમ્બરમાં ચીનની સરકારી ચેનલ સીજીટીએનએ પાકિસ્તાનના નક્શામાંથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને અલગ દર્શાવ્યું હતું.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનના નક્શાની બહાર કરવાની અસર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર પણ પડી શકે છે. ભારત આ પ્રોજેક્ટના પીઓકેમાંથી પસાર થવાનો વિરોધ કરી ચુક્યું છે. ચીને પીઓકેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કર્યું છે. તેને લઈને ભારત પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યું છે. ચીન તરફથી કેટલાક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરના વતનીઓને સ્ટેપલ વીઝા જાહેર કરવાને કારણે પણ બંને દેશોની વચ્ચે સંબંધો ખરાબ થયા હતા. એટલું જ નહીં ચીને હુર્રિયત કોન્ફરન્સના નેતાઓની પણ મેજબાની કરી હતી. ભારતે ત્યારે તેનો આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ચીન પોતાના હિત સાધવા માટે સતત ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કરતું રહ્યું છે. મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાને લઈને પણ તે અડંગાબાજી કરતું રહ્યું છે. યુએનએસસીમાં મસૂદ અઝહરને બચાવનારું ચીન પાકિસ્તાનની સાથે ઉભું રહે છે. તે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તે સંકટના સમયે સંપૂર્ણપણે પોતના આ દોસ્તને મદદ કરશે.