Site icon Revoi.in

ફની વાવાઝોડાંની અસરમાંથી ઉગારવામાં આવ્યા 12 લાખ લોકો, 45 હજાર કર્મચારીઓએ સંભાળી પરિસ્થિતિ

Social Share

ચક્રવાતી વાવાઝોડું ફની ઓડિશાના કિનારાના વિસ્તારોમાંથી નીકળીને બાંગ્લાદેશ તરફ આગળ વધ્યું છે અને હવે તેનું જોર પણ ઓછું થયું છે. ઓડિશામાં તેના કારણે 12 લોકોનાં મોત થયાં. 20 વર્ષ પહેલા એટલેકે 1999માં આ જ પ્રકારનું સુપર સાયક્લોન ઓડિશા સાથે અથડાયું હતું. ત્યારે લગભગ 10 હજાર લોકો આ વાવાઝોડાંનો શિકાર બન્યા હતા. આ વખતે નુકસાન એટલા માટે ઓછું થયું કારણકે રાજ્ય અને કેન્દ્ર સરકારને ખાસા સમય પહેલા જ વાવાઝોડાંની જાણકારી મળી ગઈ હતી. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. આ વખતે આ આપત્તિમાંથી 12 લાખ લોકોને બચાવવામાં આવ્યા. 26 લાખ લોકોને મેસેજ કરીને તમામ જાણકારીઓ આપવામાં આવી. આ ઉપરાંત, 43 હજાર કર્મચારીઓ અને વોલન્ટિયર્સને પરિસ્થિતિ સામે લડવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.

ઓડિશા અને કેન્દ્ર સરકારના તમામ સંબંધિત વિભાગ ફની સામે લડવા માટે તૈયાર હતા. લગભગ 10 લાખ લોકો પર તેની અસર થાત. ડિઝાસ્ટર મેનેજમેન્ટના 1 હજાર પ્રશિક્ષિત કર્મચારીઓને ખતરાની આશંકાવાળી જગ્યાઓ પર મોકલવામાં આવ્યા. 300 હાઇપાવર બોટ્સ પ્રતિક્ષણ તહેનાત રહી. ટીવી, કોસ્ટલ સાયરન અને પોલીસ ઉપરાંત એ તમામ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો જે સામાન્ય જનતાની સુરક્ષા માટે જરૂરી હતું. આ માટે ઉડિયા ભાષાનો જ ઉપયોગ કરવામાં આવ્યો. સંદેશો સ્પષ્ટ હતો- તોફાન આવી રહ્યું છે, શિબિરોમાં શરણું લો.

અમેરિકન મીડિયા પણ માની રહ્યું છે કે ભારતે એક બહુ મોટી આફતનો સામનો સફળતાપૂર્વક કર્યો. આ માટે યોગ્ય રણનીતિ અપનાવવામાં આવી, ઉપયોગી અને આધુનિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ જ કારણ છે કે આશરે 10 લાખ લોકોને સુરક્ષિત રાખી શકાયા. ઓડિશા અને કેન્દ્ર સરકારે મળીને ઘણા પહેલાથી જ તેની તૈયારી કરી લીધી હતી. 1999 પછીથી જ ઓડિશામાં હજારો શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા હતા. હવામાન વિભાગના ચાર સેન્ટર વાવાઝોડાંની દરેક હરકત પર બાજનજર તો રાખી જ રહ્યા હતા પરંતુ તેના હિસાબથી પોતાની યોજના પણ તૈયાર કરી રહ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં દેશના કેટલાક ખાસ ટેક્નીકલ સંસ્થાનોની મદદ લેવામાં આવી. તેમાં આઇઆઇટી ખડગપુરનું નામ મુખ્ય છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ સમજી લીધું હતું કે બંગાળની ખાડીના ગરમ પાણીથી તોફાનની અસર વધુ હશે. પરિણામે તૈયારીઓનું સ્તર શ્રેષ્ઠ રાખવામાં આવ્યું. ઓડિશા ગરીબ રાજ્ય છે. એટલે સંસાધનોનો ઉપયોગ સમજદારીથી કરવામાં આવ્યો. એનડીઆરએફની ટીમોને ઘણા પહેલાથી જ સંબંધિત ક્ષેત્રોમાં પહોંચાડી દેવામાં આવી હતી. માછીમારોનો સંપર્ક કરીને તેમને તમામ સલાહો આપવામાં આવી હતી. લાકડાની હોડીઓને કિનારાઓ પર સુરક્ષિત પહોંચાડી દેવામાં આવી હતી. વૃદ્ધો, બાળકો અને મહિલાઓને શિબિરોમાં સૌથી પહેલા પહોંચાડવામાં આવ્યા.