Site icon Revoi.in

પાલનપુરમાં ટ્રીપલ અકસ્માતમાં 3ના મોતઃ 6 વ્યક્તિ ઘાયલ

Social Share

ડીસાઃ પાલનપુરના રતનપુર નજીક બે લોડિંગ જીપ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કારમાં સવાર લોકો અંબાજી દર્શન કરવા જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરમાં રહેતો પરિવાર અંબાજીમાં માતાજીના દર્શન કરવા કાર લઈને નીકળ્યો હતો. તેમની કાર પાલનપુરના રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે સામેથી પૂરઝડપે આવેલી જીપકારે પાલનપુરના પરિવારની કાર અને ગૌવંશ ભરેલી જીપકારને ટક્કર મારી હતી. અકસ્માત સર્જનાર જીપકારમાં ડીજે પાર્ટીના સ્પીકરો ભરેલા હતા. આ અકસ્માતના પગલે કારમાં સવાર પરિવારની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.  

આ દુર્ઘટનામાં ટાવેરાનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માતમાં દેવાનંદભાઈ મોતીલાલ સૌની(ઉ.વ.73), ગોદાવરીબેન રાઠી(ઉ.વ.60) અને ભવ્ય અનિલ કુમાર મહેશ્વરી(ઉ.વ.8)ના મોત નિપજ્યાં હતા. જ્યારે છ વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી આરંભીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.