Site icon Revoi.in

શિલા દિક્ષિતની “તાજપોશી”માં શીખ વિરોધી હુલ્લડોના “આરોપી” જગદીશ ટાઈટલરની હાજરી!

Social Share

દિલ્હીના શીખ વિરોધી રમખાણોના આરોપી જગદીશ ટાઈટલર શિલા દિક્ષિતની દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્તિના ઔપચારીક કાર્યક્રમમાં હાજરીથી નવા વિવાદના મંડાણ થયા છે. 1984માં થયેલા શીખ વિરોધી હુલ્લડોના આરોપ જગદીશ ટાઈટલર પર પણ છે. આ મામલામાં કોર્ટે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. ઔપચારીક કાર્યક્રમમાં પોતાના સામેલ થવાને લઈને ઉઠી રહેલા સવાલોને જગદીશ ટાઈટલે ખોટા ગણાવ્યા છે.

સજ્જન કુમારને દોષિત ઠેરવાયા બાદ શીખ વિરોધી રમખાણ પીડિતો અને અકાલીદળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ટાઈટલરને પણ સજા મળશે. તાજેતરના થોડા દિવસોથી ટાઈટલર મોટા રાજકીય મંચો પરથી ગાયબ રહે છે અને કોંગ્રેસ પાર્ટીમાં હવે તેમની સ્થિતિ વધુ મજબૂત માનવામાં આવતી નથી.

કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે ટાઈટલરની શિલા દિક્ષિતની તાજપોશીના કાર્યક્રમમાં હાજરીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મનસા પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે કે જે તેમના પરિવારે કર્યું હતું. રાહુલ ગાંધીએ દેખાડી દીધું છે કે શીખોની લાગણીઓને લઈને તેમના હ્રદયમાં કોઈ આદર નથી. પોતાના તરફથી સ્પષ્ટીકરણ રજૂ કરતા જગદીશ ટાઈટલરે કહ્યુ છે કે કોર્ટે જે કહ્યું છે, તેના ઉપર કોઈ વધુ શું કહી શકે છે. તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. કોઈ કેસ નથી. તેમ છતાં તેમને શા માટે આરોપી કહેવામાં આવે છે ?

ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરાયા બાદ દિલ્હીમાં શીખોની સડકો પર કત્લેઆમ થઈ હતી. આ હુલ્લડોમાં ઘણાં મોટા કોંગ્રેસી નેતાઓના નામ આવ્યા હતા, પરંતુ હજી સુધી આમાથી માત્ર સજ્જન કુમારને જ કોર્ટ દ્વારા સજા મળી છે. જો કે જગદીશ ટાઈટલર લાંબા સમયથી કોંગ્રેસમાં અલગ-થલગ જ છે અને પાર્ટીના કોઈ મોટા કાર્યક્રમમાં પણ જોવા મળતા નથી.